Final Up to date:
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના નવમા દિવસે વિવિધ વિભાગોના પ્રશ્નો ચર્ચાઈ રહ્યા હતા. ISR દ્વારા કરાયેલા સંશોધનોમાં ભૂકંપ અને હવામાન પરિવર્તન અંગે મહત્વપૂર્ણ જાણકારીઓ મળી છે, જે રાજ્યના વિકાસમાં મદદરૂપ થશે.
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે અને આજે બજેટ સત્રનો નવમો દિવસ હતો. સત્રના આ દિવસે પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો, જેમાં વન અને પર્યાવરણ, પશુપાલન વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ ક્લાઈમેટ ચેન્જ વિભાગના પ્રશ્નો ગૃહમાં ઉઠાવવામાં આવ્યા હતા.
આજે ગૃહમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે ભૂ-રાસાયણિક સંશોધન અંગે પ્રશ્ન પૂછતા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રીએ વિધિવત જાણકારી આપી. તેમણે જણાવ્યું કે વડનગર અને ખંભાતમાં કરાયેલા સંશોધનોમાં મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં ISR દ્વારા છેલ્લા બે વર્ષમાં હાથ ધરાયેલા અભ્યાસોમાં ભૂકંપ અને હવામાન પરિવર્તનના ચોંકાવનારા ખુલાસા થયા છે.
ISR દ્વારા કરાયેલા સંશોધનમાં વડનગરમાં આશરે 1900 વર્ષ પૂર્વે આવેલા ભૂકંપની વૈજ્ઞાનિક ઓળખ કરવામાં આવી છે. ખંભાત વિસ્તારમાં છેલ્લા 10,000 વર્ષ દરમિયાન દરિયાઈ સપાટીમાં થયેલા ફેરફારો અંગે વિશ્લેષણાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કચ્છના વિસ્તારને પ્રાકૃતિક પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવ્યો છે, જ્યાં હવામાન પરિવર્તન અંગે ગહન સંશોધન થયો છે.
આ સંશોધનોના મદદથી ગુજરાત રાજ્યના માઈનર ખનિજોના સ્ત્રોતોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ માહિતી આપત્તિ વ્યવસ્થાપન અને હવામાનની આગાહી માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ આ સંશોધનોની વિગતવાર રજૂઆત કરીને તેમને મહત્વપૂર્ણ ગણાવ્યા છે.
Gandhinagar,Gujarat
Feb 27, 2026 11:35 PM IST

