Final Up to date:
કીર્તિ પટેલની આજે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે જૂનાગઢમાં 3 ગુના દાખલ થયા છે. જેથી તેને જૂનાગઢ લાવવામાં આવી અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાં કોર્ટ દ્વારા તેના 23 ફેબ્રુઆરી સાંજના 4 વાગ્યા સુધીનાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
જૂનાગઢ: કુખ્યાત આરોપી કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી આજે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કીર્તિને રાજસ્થાનથી જૂનાગઢ લઈને આવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ થયા છે. જેથી પોલીસ દ્વારા તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા કીર્તિ પટેલના 23 ફેબ્રુઆરી સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી હવે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
કીર્તિ પટેલ હાલ જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરતા ફરી એકવાર ચર્ચામાં આવી હતી. ગત રવિવારે (15મી ફેબ્રુઆરી) રાતે ગિરનાર મેળામાં મૃગીકુંડમાં ભગવા કપડા ધારણ કરી કીર્તિ પટેલે ડૂબકી લગાવતા પોલીસ તંત્રએ તેને મૃગીકુંડમાંથી બહાર કાઢી હતી. ત્યારે કીર્તિ પટેલ અને પોલીસ વચ્ચે તૂતૂ મેમે સર્જાઈ હતી અને આ ઘટનાથી સાધુ-સંતો પણ ભારે ગુસ્સે ભરાતા હાલ ભારે વિવાદનો માહોલ સર્જાયો છે અને આ વિવાદ વચ્ચે તેની વિરુદ્ધ ત્રણ-ત્રણ FIR પણ નોંધાયેલી છે.
15મી ફેબ્રુઆરીએ કીર્તિ પટેલએ મૃગીકુંડમાં ભગવા કપડાં સાથે સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો, તે મામલે પોલીસ તરફથી મહિલા પોલીસકર્મીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસ અધિકારી PI કે.જે. મોડે નોંધાયેલી ફરિયાદમાં કીર્તિ પટેલ સામે આરોપ લગાવાયા છે કે, તેણીએ પોલીસ સામે આંગળી બતાવી રોફ જમાવી મહિલા PIને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસની ફરજમાં રૂકાવટ અને શાંતિ ભંગની કલમો હેઠળ તેની સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
જ્યારે કીર્તિ પર અન્ય એક ફરિયાદ પ્રભાસ પાટણના ખોડીયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી છે. સાધુ સંતોનું કહેવું છે કે, મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે, ત્યારે કીર્તિ પટેલે ભગવા કપડા પહેરી આ રીતે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે. જે મામલે પ્રભાસ પાટણના ખોડીયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ જૂનાગઢ ભવનાથ પોલીસસ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
ત્રીજી ફરિયાદ ગઈકાલે(21મી ફેબ્રુઆરી) જૂનાગઢના એક યુટ્યુબરે નોંધાવી હતી. જે ઘટનાની મળતી માહિતી મુજબ મૃગીકુંડ સ્નાન વિવાદમાં આ યુટ્યુબરે સાધુ-સંતોના સમર્થનમાં આવી વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જોકે કીર્તિ પટેલ અને તેની મિત્ર સહિત 5 લોકોની ટોળકી આ વીડિયોથી ઉશ્કેરાયેલી ગઈ હતી અને આ યુટ્યુબર યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વીડિયો હટાવવા દબાણ શરૂ કર્યું હતું.
કીર્તિ પટેલે તેની મિત્ર દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સહિતનાઓ સાથે મળીને આ યુટ્યુબરને વીડિયો હટાવવાના બદલામાં 20 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી હોવાના અને એટલું જ નહીં, જો માંગણી પૂરી ન થાય તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાના આરોપ ઉછળી રહ્યા છે, જે મામલે આ યુટ્યુબર યુવકે બે-બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસે ત્રીજી ફરિયાદ નોંધી હતી.
ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ અગાઉ પણ અનેકવાર પોલીસ સાથે ગેરવર્તન અને મારપીટના કેસોમાં સંડોવાયેલી રહી છે અને જેલવાસ પણ ભોગવી ચૂકી છે. ત્યારે તાજેતરમાં મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ વચ્ચે તેની સામે ત્રણ-ત્રણ ગુના નોંધાયા બાદ જૂનાગઢ પોલીસે હાલ તેની અન્ય રાજ્ય રાજસ્થાનમાંથી ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરી હતી. જ્યા કોર્ટ દ્વારા તેના 23 ફેબ્રુઆરી સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
Junagadh,Gujarat

