ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે વિશ્વ અત્યારે એવા તબક્કે આવી ઉભું છે જ્યાં કંઇ પણ થઇ શકે એમ છે. એક નાની ભૂલ સમગ્ર વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે. વિશ્વની તેલ માટેની જીવાદોરી કહેવાતી હોર્મુઝ ખાડી (Strait of Hormuz) હાલ આ તણાવનું કેન્દ્રબિંદુ છે. જો ત્યાં યુદ્ધ થાય તો ભારત સહિત વિશ્વ માટે તેલનું મોટું સંકટ ઉભું થઇ શકે એમ છે.
હોર્મુઝ ખાડી કેમ છે તણાવનું કેન્દ્ર?
તમે જે પેટ્રોલ કે ડીઝલ વાપરો છો, તેનો મોટો હિસ્સો આ માર્ગે પસાર થાય છે. દુનિયાના કુલ તેલ પુરવઠાનો આશરે 25% હિસ્સો માત્ર આ સાંકડી પટ્ટીમાંથી નીકળે છે. ઈરાને વારંવાર ધમકી આપી છે કે જો અમેરિકા તેના પર વધુ પ્રતિબંધો લાદશે, તો તે આ માર્ગને બ્લોક કરી દેશે. જો આવું થાય, તો તેલના ભાવ રાતોરાત આસમાને પહોંચી શકે છે.
હોર્મુઝ ખાડી પર કોનો હક?
ભૌગોલિક રીતે હોર્મુઝ ખાડીનો આ સાંકડો દરિયાઈ માર્ગ ઈરાન અને ઓમાન એમ બે દેશોની વચ્ચે વહેંચાયેલો છે. જેમાં ઉત્તર ભાગ ઈરાનના આધિપત્ય હેઠળ છે તો દક્ષિણ ભાગ ઓમાન (Oman)ના આધિપત્ય હેઠળ છે.
જોકે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા (UNCLOS) મુજબ આ એક ઈન્ટરનેશનલ વોટર વે છે. જેનો અર્થ એ થાય કે વિશ્વના તમામ દેશોના જહાજોને અહીંથી પસાર થવાનો અધિકાર છે.
જોકે આ 33 કિમી દરિયાઈ માર્ગ એટલો સાંકડો છે કે અહીંથી પસાર થતા જહાજોને ફરજિયાતપણે ઈરાન કે ઓમાન બંને દેશોના પ્રાદેશિક જળ સીમામાંથી પસાર થવું જ પડે. જેના કારણે આ માર્ગ પર ઈરાન વ્યૂહાત્મક નિયંત્રણ ધરાવે છે.
વિશ્વનો ચોથા ભાગનો ઓઈલ વેપાર
હોર્મુઝ ખાડીને વિશ્વની ઓઈલ લાઈફલાઈન પણ કહેવામાં આવે છે કારણ કે અહીંથી વિશ્વનો ચોથા ભાગનો એટલે કે 25 ટકા જેટલો તેલનો જથ્થો અહીંથી પસાર થાય છે. રોજનું અહીંથી અંદાજિત 2 કરોડ બેરલ ઓઈલ વિશ્વના અન્ય દેશો માટે જાય છે.
ચીન અને ભારત છે મોખરે
હોર્મુઝ ખાડીમાંથી નીકળતું 80 ટકાથી વધુ તેલ એશિયાના દેશોમાં જાય છે. જેમાં ચીન અને ભારત સૌથી મોખરે છે. તેલ આયાતમાં 37 ટકા સાથે ચીન પહેલા નંબર છે. જ્યારે 15 ટકા સાથે ભારત બીજા ક્રમે છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયા 12 ટકા અને જાપાન 11 ટકા જેટલું તેલ આયાત કરે છે.
સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, કતાર અને UAE જેવા મોટા તેલ ઉત્પાદક દેશો પણ પોતાનો માલ દુનિયા સુધી પહોંચાડવા માટે આ એકમાત્ર કુદરતી દરિયાઈ માર્ગ પર નિર્ભર છે.
ટ્રમ્પની ડેડલાઈન અને વિકલ્પો
ટ્રમ્પની ડેડલાઈન પૂર્ણ થવા તરફ છે આ તબક્કે ટ્રમ્પ પાસે કયા વિકલ્પો છે? એ મુદ્દો મહત્વનો છે. અમેરિકી પ્રશાસન અત્યારે ‘મેક્સિમમ પ્રેશર’ (મહત્તમ દબાણ) ની નીતિ પર ચાલી રહ્યું છે.
- સંપૂર્ણ આર્થિક નાકાબંધી: ઈરાનના તેલ વેચાણને શૂન્ય પર લાવવાનો પ્રયાસ.
- લશ્કરી કાર્યવાહી: જો ઈરાન હોર્મુઝમાં અવરોધ ઊભો કરે, તો અમેરિકા પોતાના નૌકાદળનો ઉપયોગ કરીને આ માર્ગને ખુલ્લો રાખવા બળપ્રયોગ કરી શકે છે.
- સાયબર એટેક: ઈરાનના સંરક્ષણ અને ઉર્જા માળખાને સાયબર હુમલા દ્વારા નબળું પાડવું.
અમેરિકા સામે ઈરાનનો પલટવાર
ઈરાન જાણે છે કે તે સીધા યુદ્ધમાં અમેરિકા સામે ટકી શકે તેમ નથી, તેથી તે અપ્રત્યક્ષ યુદ્ધની તૈયારીમાં છે. મિસાઈલ હુમલાઓ, દરિયાઈ સુરંગો અને ડ્રોન હુમલા દ્વારા તે તેલના ટેન્કરોને નિશાન બનાવી શકે છે. ઈરાનના નેતાઓનું કહેવું છે કે, જો અમે તેલ નહીં વેચી શકીએ, તો આ માર્ગે કોઈને પણ તેલ લઈ જવા દઈશું નહીં.
ભારત પર શું થશે અસર?
જો આ દરિયાઈ માર્ગ યુદ્ધમાં ફસાય તો ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે,
- ઉર્જા સુરક્ષા: ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ તેલ આયાત કરે છે, જેનો મોટો હિસ્સો આ માર્ગે જ આવે છે.
- મોંઘવારી: જો તેલના ભાવ વધશે, તો ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાથી ભારતમાં ખાવા-પીવાની ચીજો પણ મોંઘી થશે.
- ભારતીય સમુદાય: અખાતી દેશોમાં લાખો ભારતીયો વસે છે, જેમની સુરક્ષા ભારત સરકાર માટે પ્રાથમિકતા છે.
ભારત માટે કેમ છે ચિંતાનું કારણ?
આ માત્ર બે દેશોનો ઝઘડો નથી, પણ વિશ્વના ‘એનર્જી મેપ’ ને બદલી નાખનારી ઘટના છે. જેની સીધી અસર ભારત પર પડી શકે છે. જો આ ખાડી માર્ગ બંધ થાય તો ભારતમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસની અછત થઇ શકે છે. ઉપરાંત મોંઘવારીનો બોજ પડી શકે છે.
મોંઘવારીનો સીધો ફટકો
ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ કાચું તેલ (Crude Oil) આયાત કરે છે, જેનો મોટો હિસ્સો હોર્મુઝની ખાડી થઈને ભારત આવે છે. જો આ માર્ગ બંધ થાય અથવા તણાવ વધે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રાતોરાત વધી શકે છે. આની સીધી અસર શાકભાજીથી લઈને દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે.
ખાડી દેશોના ભારતીયોની સુરક્ષા
અખાતી દેશો (Gulf International locations) માં આશરે 80 લાખથી વધુ ભારતીયો વસે છે અને કામ કરે છે. જો આ વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તો તેમની સુરક્ષા અને રોજગાર પર મોટું સંકટ આવી શકે છે. ભારત સરકાર માટે આટલી મોટી સંખ્યામાં લોકોને પરત લાવવા મોટો પડકાર બની શકે છે.
ચાબહાર પોર્ટ અને વેપાર
ભારતે ઈરાનમાં ચાબહાર પોર્ટમાં મોટું રોકાણ કર્યું છે, જે મધ્ય એશિયા સુધી પહોંચવા માટેનો ભારતનો વ્યૂહાત્મક માર્ગ છે. અમેરિકાના કડક પ્રતિબંધો અને યુદ્ધની સ્થિતિ આ પ્રોજેક્ટને ઠપ્પ કરી શકે છે, જેનાથી ભારતનો અફઘાનિસ્તાન અને યુરોપ સાથેનો વ્યાપારિક માર્ગ જોખમાઈ શકે છે.
રૂપિયો નબળો પડવાનું જોખમ
તેલના ભાવ વધવાથી ભારતનું ‘ઈમ્પોર્ટ બિલ’ વધશે, જેના કારણે ડોલર સામે ભારતીય રૂપિયો વધુ નબળો પડી શકે છે. જેની સીધી અસર દેશવાસીઓ પર પડી શકે છે. આ ઉપરાંત વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને વિદેશ પ્રવાસ કરનારાઓનો ખર્ચ વધી જશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી ચેતવણી આપી, કહ્યું – આજે રાત્રે એક પુરી સભ્યતા ખતમ થઇ જશે
અહીં નોંધનિય છે કે, ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ભારત અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ સાથે બેલેન્સિંગ એક્ટ કરી રહ્યું છે. એકબાજુ અમેરિકા સાથેની વ્યૂહાત્મક ભાગીદારી છે અને બીજીબાજુ ઈરાન સાથેના જૂના મિત્રતાભર્યા અને ઉર્જા સંબંધો છે. આ સ્થિતિ ભારત સરકાર માટે પણ કસોટી કરનારી છે.
