Final Up to date:
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 આરોપીઓએ જમીન ખરીદીને લઈને પુજારીનું અપહરણ કરીને તેને માર માર્યો હતો. જેથી આ સમગ્ર મામલે પુજારીએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: ઓઢવમાં પુજારીએ વડીલોપાર્જિત જમીનનો દસ્તાવેજ નહીં કરી આપતા ચાર શખ્સો ગાડીમાં આવ્યા અને વૃદ્ધ પુજારીનું અપહરણ કરીને અજ્ઞાત સ્થળે કોઈ ઓફિસમાં લઈ ગયા બાદમાં તેને ઢોર માર માર્યો હતો. ચારેય આરોપીઓએ વૃદ્ધને પૂછ્યું કે જમીનના અડધાથી ઉપરના ભાગના રૂપિયા આપી દીધા છે, તેમ છતાં જમીનનો બાનાખત અને દસ્તાવેજ કેમ કરી આપતો નથી. આ મામલે વૃદ્ધે અપહરણકર્તાઓને જણાવ્યું કે જમીનના વેચાણને લઈને તેના પરિવારમાં અંદરોઅંદર ઝઘડો ચાલી રહ્યો છે અને પરિવારના સભ્યો જમીન વેચવાની ના પાડી રહ્યા છે. બાદમાં ચારેય આરોપીઓએ વૃદ્ધ પુજારીને છોડી મૂક્યો હતો. ત્યારે આ મામલે વૃદ્ધે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો મૂળ ખેડા જિલ્લાના વતની જીતુભાઈ ગૌસ્વામી (61) મંદિરમાં પુજારી તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની વડીલોપાર્જિત જમીન દસક્રોઈ તાલુકામાં ગતરાડ ગામની સીમમાં આવેલી છે. આ જમીનમાંથી ત્રણ વીઘાનો ટુકડો વૃદ્ધે વર્ષ 2018માં રૂ. 21 લાખમાં ઓઢવમાં રહેતા રણછોડભાઈ ભરવાડને વેચાણ આપી દીધો હતો અને આ જમીનના વેચાણ પેટે રણછોડભાઈએ વૃદ્ધને ટુકડે ટુકડે કરીને રૂ. 18 લાખ ચૂકવી આપ્યા હતા અને રૂ. 3 લાખ આપવાના બાકી હતા.
આ દરમિયાન વૃદ્ધના ઘરમાં જમીન વેચવા બાબતે માથાકૂટ થઈ હતી. એટલે વૃદ્ધે રણછોડભાઈને તેમના રૂપિયા પાછા આપવાનું કહ્યું પરંતુ રણછોડભાઈએ રૂપિયા લેવાથી ઇનકાર કરી દીધો હતો. આથી વૃદ્ધે આ મામલે દસક્રોઈ મામલતદાર અને સુભાષબ્રિજ કલેકટર કચેરી ખાતે જમીનની ફરિયાદ નોંધાવી હતી.
બાકી નીકળતા રૂપિયા આપવાની વાતચીત કરવા માટે રણછોડભાઈ અને તેમના બે દીકરા વૃદ્ધ જીતુભાઈને મળવા માટે આવ્યા હતા. પરંતુ જે તે સમયે વૃદ્ધે પછી વાત કરીશું તેમ કહીને મુલાકાત કરી નહોતી. આથી ગુસ્સે ભરાયેલા રણછોડભાઈના બે દીકરાએ ગત 16 ફેબ્રુઆરીના રોજ જ્યારે વૃદ્ધ તેમની પત્ની સાથે તેમના મામાના દીકરાની મોબાઈલની દુકાને ફોન રિપેરિંગ કરવા સારું ગયા હતા. ત્યારે રણછોડભાઈના બે દીકરા અને તેમની સાથે અન્ય બે શખ્સો ફોરવ્હીલ લઈને આવ્યા અને વૃદ્ધ જીતુભાઈ ગૌસ્વામીનું અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયા જ્યાં આગળ વૃદ્ધને જમીનનો દસ્તાવેજ કેમ કરી આપતો નથી કહીને ઢોર માર માર્યો હતો. બાદમાં સાંજના સમયે વૃદ્ધને છોડી મૂક્યો હતો. એટલે આ અંગે વૃદ્ધે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગોપાલ ભરવાડ, તેનો ભાઈ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
Ahmedabad,Gujarat
Feb 17, 2026 11:29 PM IST

