Final Up to date:
2020માં દાણીલીમડા વિસ્તારમાં થયેલા હત્યાકાંડમાં સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ અને 50,000ના દંડની સજા ફટકારી છે, જેથી કાયદાના ભયને મજબૂત કરવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થયો છે.
અમદાવાદ : વર્ષ 2020માં દાણીલીમડા વિસ્તારમાં યુવકની નજીવી તકરારમાં હત્યા કરનાર આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી કાયદા મુજબની સજા કરવી ન્યાયોચિત છે.
આ કેસની હકીકત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં આવેલ બહેરામપુરા ખાતે 45 વર્ષીય અકરમ નિજામુદ્દીન સૈયદ પરિવાર સાથે રહેતા હતા. 14 જુલાઈ 2020ના રોજ રાત્રે 10 વાગ્યે અકરમ પોતાના ઘર પાસે ઊભો હતો. ત્યારે ત્યાં સમીર યુનુસભાઈ કુરેશી આવ્યો હતો. જેથી અકરમે સમીરને કહ્યું હતું કે, કેમ અહીંયા મોડી રાત્રી સુધી ઊભો છે. તેથી સમીર ગુસ્સે થયો હતો અને હું અહીંયા જ બેસી રહીશ તું શું કરી લઈશ. આટલું કહ્યા બાદ તેણે માથાકૂટ કરી હતી અને છરી કાઢી અકરમ પર હુમલો કર્યો હતો. જેથી ગંભીર હાલતમાં અકરમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ અકરમનું મોત થયું હતું.
આ મામલે દાણીલીમડા પોલીસે આરોપી સમીર સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપી સામે ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ મિનલ ભટ્ટે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે મૃતકે જાતે હોસ્પિટલમાં ફરિયાદ આપી હતી, આરોપીનો ગુનામાં સક્રિય રોલ હોવાના પૂરતા પુરાવા છે, આરોપીએ નજીવી તકરારમાં યુવકની હત્યા કરી છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ. બીજી તરફ આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરી હતી.
બંને પક્ષની રજૂઆત બાદ સેશન્સ જજ એ.એન. વોરાની કોર્ટે આરોપીને આજીવન કેદ અને 50,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટના આ નિર્ણયથી સમાજમાં કાયદાનો ભય ઊભો રહે અને આ પ્રકારના ગુનામાં દોષિતને સખ્ત સજા મળે તે હેતુ સાકાર થયો છે.
Ahmedabad,Gujarat
Feb 11, 2026 10:46 PM IST

