Final Up to date:
મૃતક સુલતાન અહેમદ ઇફ્તખાર મોહમ્મદ શેખ (ઉ.વ. 20) મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવનો રહેવાસી હતો. રમઝાન મહિનો ચાલતો હોવાથી તે દર વર્ષની જેમ પોતાની માતા અને બહેન સાથે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સગા મામાના ઘરે આવ્યો હતો.
સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા આરોપીએ પિતરાઈ ભાઈ પર ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મૃતક સુલતાન અહેમદ ઇફ્તખાર મોહમ્મદ શેખ (ઉ.વ. 20) મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવનો રહેવાસી હતો. રમઝાન મહિનો ચાલતો હોવાથી તે દર વર્ષની જેમ પોતાની માતા અને બહેન સાથે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સગા મામાના ઘરે આવ્યો હતો. ઘટનાના દિવસે આરોપી અલ્લારખા ઉર્ફે આમિર આમિનુદ્દીન શેખ, જે મૃતકનો સગો મામાનો દીકરો થાય છે, તેની અને મૃતકની માતા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. પોતાની માતા સાથે થયેલી બોલાચાલી જોઈને સુલતાન અહેમદ વચ્ચે પડ્યો હતો.
ત્યારબાદ બંને ભાઈઓ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ઝઘડો વધુ ઉગ્ર બનતા આરોપીએ ઘરમાં પડેલું રોજિંદા વપરાશનું ચપ્પુ લઈને સુલતાન અહેમદ પર હુમલો કર્યો હતો. આરોપીએ તેની ડાબી છાતીના ભાગે બે ઘા ઝીંકતા સુલતાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને પરિજનોને સોંપવામાં આવશે.
આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ તરફ ભાગી જવાની તૈયારીમાં હતો અને તેણે થેલામાં કપડા પણ પેક કરી લીધા હતા. પરંતુ રાંદેર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી કામગીરી કરતા આરોપીનો પત્તો મેળવી તેને ડિટેન કર્યો હતો. ત્યારબાદ મૃતકની માતા નઝમાબાનું ઇફ્તખાર મોહમ્મદ શેખની ફરિયાદના આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

