Final Up to date:
ગોધરાકાંડની આજે 24મી વરસી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદે ગોધરા ખાતે બાઇક રેલી યોજી હતી, સાબરમતિ ટ્રેનના એસ 6 કોચ ખાતે 58 કાર સેવકોના આત્મશાંતિ માટે પુષ્પાંજલિ આપી હતી.
ગોધરા: આજે 27મી ફેબ્રુઆરીએ ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની 24મી વરસી છે. 24 વર્ષ પહેલા બનેલી આ ભયાનક ઘટનાની યાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ગોધરા ખાતે બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં ‘ભૂલેંગે ના માફ કરેંગે’ અને ‘જય જય શ્રી રામ’ના સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી ગોધરા રેલવે યાર્ડ સ્થિત એસ 6 કોચ ખાતે પહોંચી હતી અને અયોધ્યાથી પરત ફરી રહેલા 58 કાર સેવકો નિર્દોષ જીવતા ભૂંજાય ગયેલા હુતાત્માઓના આત્મશાંતિ માટે પ્રાર્થના કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
27 ફેબ્રુઆરી 2002ના દિવસે અયોધ્યાથી સાબરમતી ટ્રેનમાં પરત ફરી રહેલા કાર સેવકો ઉપર ગોધરા રેલવે સ્ટેશન ખાતે લઘુમતી કોમના ટોળા દ્વારા હુમલો કરાયો હતો. દરમિયાન સાબરમતી ટ્રેનના એસ 6 કોચમાં ઝનૂની ટોળાએ આગચંપી કરતાં 58 કાર સેવકોના જીવતા ભૂંજાઈ જતા તેમના દુઃખદ મોત નિપજ્યા હતા. હાલ આ એસ 6 કોચ ગોધરા રેલવે યાર્ડ ખાતે રાખવામાં આવ્યો છે અને તે દિવસની આ ભયાનક ઘટનાની હંમેશા યાદ અપાવે છે.
દર વર્ષ 27 ફેબ્રુઆરીના દિવસે અહીં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રતિ હુતાત્માઓના આત્મશાંતિ માટે પ્રાર્થના કરી રામધૂન સાથે પુષ્પાંજલિ આપવામાં આવે છે. જે મુજબ આજે 24મી વરસી નિમિત્તે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોધરા ચાચર ચોક ખાતેથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું.
આજે સવારે વિહિપ કાર્યકરોના ‘ભૂલેંગે ના માફ કરેંગે’ અને ‘જય જય શ્રી રામ’ના જયઘોષ સાથે ભવ્ય બાઇક રેલી યોજી ગોધરા રેલવે યાર્ડ સ્થિત એસ 6 કોચ ખાતે પહોંચી હતી અને હુતાત્માઓના આત્મશાંતિની પ્રાર્થના સાથે પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Godhra,Panchmahal,Gujarat

