Char Dham Yatra 2026: ચાર ધામ યાત્રા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચારધામ યાત્રા સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આ વર્ષથી ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં બિન સનાતની લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિર સમિતિના પદાધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
અધ્યશ્ર હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય આવતા મહિનાથી શરૂ થનારી ચારધામ યાત્રાથી લાગુ થશે અને બિન સનાતની લોકો હવે મંદિર પરિસર અને ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં. આ પહેલા તેમણે કહ્યું હતું કે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પ્રણાલી આદિ શંકરાચાર્યના સમયથી છે અને ભારતીય બંધારણ પણ ધાર્મિક સ્થળોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે.
બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે?
“બદ્રીનાથ અને કેદારનાથ ધામ પર્યટન સ્થળો નથી પરંતુ આસ્થાના કેન્દ્રો છે. આ વૈદિક કેન્દ્રો છે જેની સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. ભારતીય બંધારણની કલમ 26 દરેક સંપ્રદાયને તેના ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. ”
ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલશે અને કેદારનાથ ધામના દરવાજા 22 એપ્રિલે ખુલશે. ચાર ધામ યાત્રાની શરૂઆત 19 એપ્રિલે અખા ત્રીજથી થશે, તે દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલશે.
ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ
ઉલ્લેખનિય છે કે, અગાઉથી ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી ધામ પર જ નહીં પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ થશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું હતું કે ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પ્રતિબંધ દેવીના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ થશે.
આ ઉપરાંત ઉત્તરાખંડ સરકાર હરિદ્વારના 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 105 ઘાટ પર બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહી છે. કેટલાક સંતો અને ગંગા સભાની વિનંતીઓના જવાબમાં આ પગલું લેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર હરિદ્વાર અને ઋષિકેશ બંનેને સનાતન પવિત્ર નગર જાહેર કરવાની યોજના બનાવી રહી છે.
