Final Up to date:
Gold costs: કેન્દ્ર સરકારના આગામી બજેટને લઈને રાજકોટ સહિત સમગ્ર દેશના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં મોટી અપેક્ષાઓ જોડાઈ છે. છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા ભારે વધારાએ બજારમાં ખરીદી પર સીધી અસર કરી છે. આવી સ્થિતિમાં જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી અને GST ઘટાડીને ઉદ્યોગને રાહત આપવાની માંગ કરવામાં આવી છે, જેથી જ્વેલરી વ્યવસાય ફરીથી ગતિ પકડી શકે.
રાજકોટ: આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થનારા બજેટને લઈને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં મોટી અપેક્ષાઓ બંધાઈ છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા ભારે વધારાના કારણે જ્વેલરી ઉદ્યોગ પર સીધી અસર પડી છે. આવી સ્થિતિમાં બજેટમાં ઉદ્યોગને રાહત મળે તેવી માંગ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન તરફથી કરવામાં આવી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રેસિડન્ટ મયુર આડેસરાએ જણાવ્યું હતું કે આગામી બજેટથી સમગ્ર જ્વેલરી ઉદ્યોગને ઘણી આશા છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદીના ભાવમાં અસાધારણ વધારો થયો છે, જેના કારણે બજારમાં ખરીદી પર અસર પડી છે. ખાસ કરીને ગોલ્ડના ભાવમાં 80 ટકાથી વધુનો અને સિલ્વરના ભાવમાં તો અંદાજે 180 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.
ભાવમાં થયેલા આ વધારાના કારણે સામાન્ય ગ્રાહકો માટે સોના અને ચાંદીની ખરીદી કરવી મુશ્કેલ બની છે. તેના સીધા પરિણામ તરીકે જ્વેલરી વ્યવસાય પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. મયુર આડેસરાએ જણાવ્યું હતું કે જો બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો ઉદ્યોગને થોડું સંજીવન મળી શકે અને બિઝનેસ ફરીથી ગતિ પકડી શકે. તેમણે વધુમાં કહ્યું કે હાલ સોના-ચાંદી પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે ભાવ વધુ વધી જાય છે, જેનો ભાર અંતે ગ્રાહક પર આવે છે. જો આ ડ્યુટી ઘટાડવામાં આવે તો સોના-ચાંદીના ભાવમાં થોડી રાહત મળી શકે અને બજારમાં ખરીદીમાં વધારો થવાની શક્યતા રહેશે.

આ સાથે જ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન તરફથી GST દરમાં પણ ઘટાડાની માંગ કરવામાં આવી છે. મયુર આડેસરાનું કહેવું છે કે હાલના GST દરના કારણે અનેક ગ્રાહકો ખરીદી કરતા પહેલા વિચાર કરે છે. જો GSTમાં ઘટાડો કરવામાં આવે તો સોના અને ચાંદીની ખરીદી વધુ સરળ બની શકે અને બજારમાં માગ વધે. તેમણે NRI ગ્રાહકો માટે પણ ખાસ માંગ કરી છે કે, જો NRI ગ્રાહકોને GST રિટર્નની સુવિધા આપવામાં આવે તો તેનાથી ભારતના ટુરિઝમ અને જ્વેલરી બંને ક્ષેત્રોને ફાયદો થશે. વિદેશી પ્રવાસીઓ ભારતમાંથી વધુ ખરીદી કરવા પ્રોત્સાહિત થશે અને ભારત ટુરિઝમ ક્ષેત્રે અન્ય દેશોની સામે પાછળ નહીં રહે.
