Final Up to date:
Bhavnagar Information: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પશુપાલન આજે માત્ર વ્યવસાય નહીં પરંતુ અનેક પરિવારોની આર્થિક જીવાદોરી બની ગયું છે. પરંતુ જેમ માનવ શરીરમાં રોગો થાય છે તેમ પશુઓ પણ ગંભીર રોગોથી પીડાઈ શકે છે. ખાસ કરીને ઇતરડી અને માખીથી ફેલાતો ટ્રીપેનોઝોમિયાસીસ એટલે કે ઝેરબાજ (સરા) રોગ પશુઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સમયસર ઓળખ અને યોગ્ય કાળજી ન લેવાય તો દૂધ ઉત્પાદન ઘટે છે.
ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે ફેલાઈ રહ્યો છે. લોકો આ વ્યવસાયથી સારી આવક મેળવી રહ્યા છે, પરંતુ માનવ શરીર જેમ પશુઓમાં પણ વિવિધ રોગો જોવા મળતા હોય છે. જો આ રોગો પર નિયંત્રણ ન મળે તો તે પશુના દૂધ ઉત્પાદનને અસર કરે છે અને પરિણામે પશુપાલકોને આર્થિક નુકસાન થાય છે. કેટલાક રોગો તો પશુઓ માટે જીવલેણ સાબિત થાય છે. આ જ રીતે ઇતરડીથી થતો ટ્રીપેનોઝોમિયાસીસ નામક રોગ, જેને ઝેરબાજનો રોગ અથવા સરા તરીકે ઓળખવામાં આવે છે, પણ જીવલેણ સાબિત થાય છે. આ રોગના કારણો અને તેની રોકથામ માટે લેવાયેલી કાળજી અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી છે.
પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલભાઈ ગારીયાધારે જણાવ્યું કે પશુઓમાં પણ માનવ શરીર જેવી અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે. જેમાં ખાસ કરીને પ્રજીવજન્ય રોગોની વાત આવે છે. આ રોગોમાં ઝેરબાજનો રોગ, જેને સરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહત્વપૂર્ણ છે. આ રોગ ટ્રીપેનોઝોમા નામના પ્રજીવથી થાય છે. આ રોગ મુખ્યત્વે માખી, ઇતરડી અને અન્ય જીવાણુઓથી ફેલાય છે. દૂધ, માંસ વગેરેમાં ઇન્ફેક્શન હોય તો તેનાથી પણ આ રોગ ફેલાય છે.

આ રોગ થઈ ગયા બાદ પશુઓમાં કયા લક્ષણો જોવા મળે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. લાંબા સમય સુધી રોગ રહેવાથી લોહ તત્વોનો ઘટાડો થવાના કારણે પશુ લંગડાય છે. આ ઉપરાંત, પશુ ગોળ ગોળ ફરતા રહે છે, જેને ચકરીનો રોગ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગના કારણે મૃત્યુદર વધે છે અને તે બે અઠવાડિયાથી લઈને બે વર્ષ સુધી ચાલી શકે છે. આ ઉપરાંત, આ રોગથી પશુને ઊંચો તાવ આવે છે, મોઢામાંથી લાળ પડે છે અને પશુ વધુ નબળું પડી જાય છે.
આ રોગ ન થાય તે માટે અટકાવવાના ઉપાયો કરવા અનિવાર્ય છે. જેમ કે, જેમાં પશુને રાખવામાં આવે છે તે રહેઠાણમાં પૂરતો પ્રકાશ રહેવો જોઈએ, અને સમયાંતરે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જરૂર છે જેથી ઇતરડી, ફૂદડી જેવી જીવાતોનો નાશ થાય. ઉપરાંત, વધારે ભેજ અને પાણીના ભરાવાની પરિસ્થિતિ ન બનાવવી જોઈએ. જો વધુ લક્ષણો દેખાય તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરીને પશુ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
Bhavnagar,Gujarat
