Final Up to date:
એઈમ્સમાં ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટર રતનકુમાર મેઘવાળ નામના તબીબે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું.
રાજકોટ: એઈમ્સ (AIIMS) હોસ્પિટલના એક રેસિડન્ટ તબીબ દ્વારા ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ બનાવથી તબીબી જગત અને સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, એઈમ્સમાં ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટર રતનકુમાર મેઘવાળ નામના તબીબે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ચોંકાવનારી બાબત એ છે કે, ડોક્ટર રતનકુમારની આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શું કોઈ માનસિક તણાવ હતો, કામનું ભારણ હતું કે પછી અંગત કારણો જવાબદાર હતા, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
એક તબીબના આવા આકસ્મિક પગલાથી એઈમ્સ પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આ મામલે ગુનો નોંધીને ડોક્ટરના સાથી મિત્રો અને પરિવારજનોની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરી એટલે કે દોઢ મહિના અગાઉ પણ આવી જ એક ઘટના સામે આવી હતી. રાજકોટ એઇમ્સમાં MBBSનો અભ્યાસ કરતા રેસિડન્ટ ડોક્ટર રતનકુમાર ભેદી સંજોગોમાં ગુમ થયા હતા, જેના કારણે હોસ્પિટલમાં ભારે ચર્ચા જાગી હતી.
Mar 14, 2026 10:59 AM IST

