‘ધુરંધર’ ફિલ્મની સુનામી અને અક્ષય ખન્નાનો જાદુ અવિરત: બોક્સ ઓફિસ ગજાવ્યા બાદ એક્ટર અક્ષય ખન્ના અલીબાગ સ્થિત પોતાના નિવાસે ખાસ વાસ્તુ પૂજા કરાવી છે. આ પૂજાનો વીડિયો વાયરલ થતાં ચાહકો શુભેચ્છા સાથે ચિલ ઇમોજી શેયર કરી રહ્યા છે. આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર એવી કમાણી કરી છે કે મોટા ગજાના સુપરસ્ટાર્સ પણ વિચારમાં પડી ગયા છે. આ ફિલ્મની સફળતામાં રણવીર સિંહની સાથે જે નામ સૌથી વધુ ગાજી રહ્યું છે, તે છે અક્ષય ખન્ના. ‘રહેમાન ડાકુ’ ના પાત્રમાં અક્ષય ખન્નાએ એવી ધમાલ મચાવી છે કે તેઓ રાતોરાત ‘નેશનલ ક્રશ’ અને મીમ્સનો રાજા બની ગયો છે.
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ નો વિજય રથ
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર બીજા અઠવાડિયે જે આંકડા મેળવ્યા છે તે હિન્દી સિનેમાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી.
- બીજો શુક્રવાર: ₹32.5 કરોડ
- બીજો શનિવાર: ₹53 કરોડ
- બીજો રવિવાર: ₹58 કરોડ
- બીજો સોમવાર/મંગળવાર: ₹30-30 કરોડ (દરેક દિવસે)
આ અસાધારણ કમાણી સાથે ભારતનું કુલ નેટ કલેક્શન ₹411 કરોડ સુધી પહોંચી ગયું છે. નવાઈની વાત એ છે કે શાહરૂખ ખાનની ‘જવાન’, ‘પઠાન’ અને આમિરની ‘દંગલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પણ બીજા અઠવાડિયાના આ તબક્કે ₹15 કરોડથી નીચે આવી ગઈ હતી, જ્યારે ‘ધુરંધર’ હજુ પણ ₹30 કરોડથી ઉપર રમી રહી છે.
સફળતાની વચ્ચે અલીબાગમાં વાસ્તુ શાંતિ પૂજા
જ્યારે રણવીર સિંહ ઈન્સ્ટાગ્રામ પર સફળતાની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે લાઈમલાઈટથી દૂર અક્ષય ખન્ના તેના અલીબાગ સ્થિત નિવાસસ્થાને શાંતિની પળો માણી રહ્યા છે. તાજેતરમાં અક્ષય ખન્નાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ તેમના ઘરે વાસ્તુ શાંતિ પૂજા કરતા જોવા મળે છે. સફેદ શર્ટ અને બ્લુ ડેનિમમાં સજ્જ અક્ષય ખન્ના પૂજારીઓ સાથે વિધિ કરી રહ્યા છે.
https://www.instagram.com/reels/DST79wqka9s
પૂજા કરાવનાર પૂજારી શિવમ મ્હાત્રેએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા લખ્યું, “અક્ષય ખન્નાનો શાંત સ્વભાવ અને સાદગી ખરેખર પ્રશંસનીય છે. ‘છાવા’, ‘ધુરંધર’, ‘દ્રશ્યમ 2’ અને ‘સેક્શન 375’ જેવી ફિલ્મો દ્વારા તેમણે સાબિત કર્યું છે કે એક્ટિંગમાં તેમનો કોઈ ક્લાસ નથી.”
ચાહકોની પ્રતિક્રિયા: “બે બ્લોકબસ્ટર આપીને ભાઈ ચિલ કરે છે”
સોશિયલ મીડિયા પર ચાહકો અક્ષય ખન્નાની આ સાદગીના કાયલ થયા છે. એક યુઝરે લખ્યું, “એક જ વર્ષમાં બે ₹500 કરોડથી વધુની બ્લોકબસ્ટર ફિલ્મો આપીને મારો ફેવરિટ એક્ટર હવે ચિલ કરી રહ્યો છે.” અન્ય એક ચાહકે કહ્યું, “કોઈ દેખાડો નહીં, કોઈ PR ગતકડાં નહીં, બસ કામ પૂરું કરીને ગાયબ! સાચો આત્મવિશ્વાસ આને કહેવાય.”
30 વર્ષ, 48 ફિલ્મો: અક્ષય ખન્ના ફિલ્મી કરિયર
1997 માં ‘હિમાલય પુત્ર’ થી કરિયરની શરૂઆત કરનાર અક્ષય ખન્નાએ 30 વર્ષમાં માત્ર 48 ફિલ્મો જ કરી છે. તે સ્ક્રિપ્ટ પસંદ કરવામાં ખૂબ જ ચોકસાઈ રાખે છે. તેણે એકવાર કહ્યું હતું કે, “મારા માટે કામ ન હોવું એ સૌથી મુશ્કેલ સમય છે, પણ મને જે કામ ગમે તે ન મળે ત્યાં સુધી હું હા પાડતો નથી.”
આ પણ વાંચો | ધુરંધર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે, 19 રેકોર્ડ્સ તોડ્યા
‘ધુરંધર ભાગ-2’ માં રહેમાન પાછો આવશે?
શું ‘ધુરંધર ભાગ-2’ માં રહેમાન ડાકુ પાછો આવશે? આ પ્રશ્ન અત્યારે ચાહકોમાં ચર્ચાઈ રહ્યો છે કારણ કે પહેલા ભાગમાં તેનું મૃત્યુ થાય છે. જોકે, અક્ષય ખન્ના ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ ‘મહાકાલી’ અને ત્યારબાદ ‘દ્રશ્યમ 3’ માં જોવા મળશે.
