Final Up to date:
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું. જોકે હવે આ વિસ્તારને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વિસ્તાર ખરેખરમાં એક ગુનાખોરીનો અડ્ડો હતો જ્યાં દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું હતું. જેના પુરાવાઓ પણ મળી આવ્યા છે.
રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલિશન દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. વર્ષોથી ગુનાખોરી માટે બદનામ બનેલા જંગલેશ્વર વિસ્તારમાં હિસ્ટ્રીશીટરો દ્વારા ગેરકાયદે બાંધકામ કરી મકાનો ભાડે અપાતા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, રાજકોટના નામચીન 11 હિસ્ટ્રીશીટરોની માલિકીની મોટી મિલકતો અહીં આવેલી હતી.
આ હિસ્ટ્રીશીટરો તેમની મિલકતોનો ઉપયોગ ગેરપ્રવૃત્તિઓ માટે થતો હોવાના પુરાવા મળ્યા છે. વિસ્તારમાં ડ્રગ્સ, દારૂ, જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ વ્યાપક રીતે ચાલતી હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરાવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન રમા જુણેજા નામની મહિલાના ત્રણ આલીશાન મકાનો અને કુલ 48 રૂમો મળ્યા છે.
આ ઉપરાંત સમીર ઉર્ફે મૂર્ધા પઠાણના ત્રણ રૂમ, સમીર ઉર્ફે સંજલાના 16 રૂમ, જાવેદ જુસેબ અને તોશીફ ઉમરેટાના 8-8 રૂમ તથા અસીમ ઉમરેટાના 12 રૂમો હોવાનું બહાર આવ્યું છે. કુલ મળીને 11 હિસ્ટ્રીશીટરોની માલિકીના 8 મકાનો, 97 ઓરડીઓ અને 3 દુકાનો હોવાનો ખુલાસો થયો છે. પોલીસના આંકડા મુજબ, છેલ્લા 10 વર્ષમાં જંગલેશ્વર વિસ્તારમાં દારૂના 276 કેસ, જુગાર અને ઘોડી-પાસાના 65 કેસ, 4 હત્યા અને 3 હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે.
આ ઉપરાંત 61 ગેરકાયદે હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત મૂર્ઘા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ જણાવે છે કે, આ ગેંગ સામે છેલ્લા એક દાયકામાં દારૂ અને જુગાર સિવાયના 36 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા 8 વર્ષમાં જંગલેશ્વર વિસ્તારમાં વારંવાર ગુના આચરતા 58 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ હતો. જેમાં કુલ 1498 ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં બીજા દિવસના અંત સુધીમાં 1306 બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. તંત્રના જણાવ્યા મુજબ, 87 ટકાથી વધુ બાંધકામો કોઈ વિવાદ વિના શાંતિપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે, આ કાર્યવાહીનો હેતુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવો અને ગુનાખોરી પર પ્રહાર કરવાનો છે.
રાજકોટ: જંગલેશ્વર વિસ્તાર હતો ગુનાખોરીનો અડ્ડો, દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હતું, મેગા ડિમોલેશનમાં પુરાવાઓ મળ્યા

