Final Up to date:
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 32 વર્ષીય ભાવેશ વાણવી પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મૃત્યુ. હમીર જોગરાણા સહિત અજાણ્યા 4-5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો. દલિત સમાજનો વિરોધ, લાશ સ્વીકારવાનો ઇનકાર.
રાજકોટ: શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીની સામે રવિવારના રોજ રાત્રિના 09:45 વાગ્યાના અરશામાં 32 વર્ષીય ભાવેશ વાણવી નામના વ્યક્તિ સહિત બે વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે જીવલેણ હુમલામાં સારવાર દરમિયાન ભાવેશ વાણવી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બનાવ સંદર્ભે ભાવેશના 25 વર્ષીય મિત્ર રાહુલ પરમાર દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હમીર જોગરાણા તેમજ અજાણ્યા ચાર થી પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ બીએનએસ ની કલમ 109, 118(1), 191 (2), 190, 140(3) તેમજ એટ્રોસિટી એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટના હત્યામાં પલટાતા યુનિવર્સિટી પોલીસ દ્વારા બનાવ સંદર્ભે બીએનએસની કલમ 103(1) નો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે.
નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ પરમારે પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ માનવી તેમજ પ્રિન્સ વાણવી સાથે સોપાન હાઈટ્સ પાસે બેઠા હતા. તેમજ ત્યારબાદ ત્રણેય મિત્રો ઘરે જમવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વીફ્ટ કાર તેમજ બાઈક લઈને અમારી પાછળ આવ્યા હતા. તેમજ તેમના દ્વારા લાકડી, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પ્રિન્સ પણ ત્યાં ઉભો રહેતા પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હતો. ડર લાગવાના કારણે હું ત્યાંથી સાઈડમાં જતો રહ્યો હતો. ત્યારબાદ કારમાં આવેલા વ્યક્તિઓ ભાવેશને કારમાં બેસાડીને ત્યાંથી લઈને જતા રહ્યા હતા.
દરમિયાન પ્રિન્સને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવ સંદર્ભે પ્રિન્સ ને પૂછતા તેણે જણાવ્યું હતું કે, હમીર જોગરાણા સાથે ચિચોડો રાખવા બાબતે ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. જે બાબતનો ખાર રાખીને હમીર જોગરાણા સહિતના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ભાવેશ ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ તેને માર મારીને રસ્તામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર છે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ત્યારે બનાવ સંદર્ભે મોટી સંખ્યામાં દલિત સમાજના વ્યક્તિઓ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે એકત્રિત થયા છે. તેમજ જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે.

