Final Up to date:
પશુઓમાં પણ માનવ શરીરની જેમ ગંભીર રોગો થાય છે અને સમયસર સારવાર ન મળે તો પશુપાલકોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. ઇતરડીથી ફેલાતો બબેસીયોસીસ (Babesiosis) નામનો જીવલેણ રોગ પશુઓ માટે મોટો ખતરો બની રહ્યો છે. પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલભાઈ જાળેલાએ આ રોગના લક્ષણો અને સમયસર સારવાર અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે.
ભાવનગર: પશુઓમાં માનવ શરીરની જેમ અનેક પ્રકારના રોગો થતા હોય છે અને આ રોગો પર સમયસર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન એ એક આવકનો મુખ્ય સ્ત્રોત છે. પશુઓમાં વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને પરજીવીઓથી થતા અનેક રોગો જોવા મળે છે. પશુપાલકોએ પણ નિયમિત રીતે પશુચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને કોઈપણ લક્ષણ દેખાય તો તરત સારવાર શરૂ કરવી જોઈએ. રોગનું વહેલું નિદાન કરવાથી મોટી આર્થિક નુકસાની અટકાવી શકાય છે.
પશુઓમાં ઇતરડીથી પણ અનેક પ્રકારના રોગો થતા હોય છે. આ જ રીતે પશુઓમાં બબેસીયોસીસ નામનો રોગ જે પ્રોટોઝુઆ જીવાણુઓથી થતો રોગ છે. આ રોગ થવાના કારણે રોગની પાછલી અવસ્થામાં એટલે કે પશુ સારું થઈ ગયા બાદ પણ પશુના શરીરનું વજન ઘટે છે, પશુ દુબળું પડવા લાગે છે. આ એક જીવાણુઓથી થતો જીવલેણ રોગ છે. આ રોગ થવાના કારણે પશુનું મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેલી છે. રોગના ચિહ્નો દેખાય તો તાત્કાલિક ધોરણે નજીકના પશુ ચિકિત્સા અધિકારી અથવા તો પશુ ડોક્ટરનો અવશ્ય સંપર્ક કરી પશુની સમયસર સારવાર કરાવી ખૂબ જ હિતાવહ છે.

અંગે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ગારીયાધારમાં ફરજ બજાવતા ડૉ. રાહુલભાઈ જાળેલાએ જણાવ્યું હતું કે, પશુઓમાં માનવ શરીરની જેમ અનેક પ્રકારના રોગો થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં બબેસીયોસીસ નામનો રોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ રોગ થવાના કારણે પશુના શરીરમાં ભારે તાવ આવવો, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, શરીરમાં ધ્રુજારી થવી, લોહ તત્વનો ઘટાડો થવો, તેમજ એનેમિયા થવો, ઘણા કિસ્સામાં ઓછી માત્રામાં ઝાડા થવા, કબજિયાત થઈ જવા જેવા લક્ષણો આ રોગ થવાના કારણે પશુઓમાં જોવા મળતા હોય છે.
આ ઉપરાંત આ એક રોગ એવો છે કે પશુ તેમાંથી સારું થઈ ગયા બાદ પણ દુબળું પડી જતું હોય છે. આ ઉપરાંત તે પૂરતા પ્રમાણમાં ખોરાક પણ લઈ શકતું નથી. જેના કારણે નબળાઈ આવવાથી પશુનું મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને આ રોગ થતા કથ્થઈ કલરનો પેશાબ જોવા મળે છે. આ એક ગંભીર લક્ષણ ગણવામાં આવે છે. આ પ્રકારના લક્ષણ દેખાય તો તુરંત જ નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત લાલ પાણીનો રોગ અને બબેસીયોસીસ રોગ બંને અલગ અલગ છે. આ ગંભીર અને જીવલેણ રોગ પણ ગણવામાં આવે છે જેથી પશુની તાત્કાલિક સારવાર કરવી ખૂબ જ જરૂરી છે.
Bhavnagar,Gujarat
Feb 14, 2026 11:22 AM IST
