Final Up to date:
ભાવનગર જિલ્લાના જેસર ગામના યુવાને નોકરી છોડીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી અનોખી પહેલ કરી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ શહેરની નોકરી છોડી વતન પરત ફરેલા પરસાણા દિવભાઈએ સરકારની યોજના અંતર્ગત ઓટોમેટિક જીવામૃત પ્લાન્ટ સ્થાપી એક સાથે 6,000 લિટર જીવામૃત તૈયાર કરવાની ક્ષમતા વિકસાવી છે.
ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસેને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય, ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ખેડૂતોને પણ તેનો ફાયદો થતો હોય છે. આ ઉપરાંત હાલ જોઈએ તો અનેક યુવકો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ કે અન્ય નોકરી કે વ્યવસાય છોડીને પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હાલ અનેક યોજનાઓ અને સહાય પણ અમલમાં મૂકવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના જેસરમાં રહેતા યુવક પરસાણા દિવભાઈ, જેઓએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ નોકરી કરતા હતા, પરંતુ તે સમયે તેઓને વિચાર આવ્યો કે હવે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ અનિવાર્ય છે. જેથી તેઓ નોકરી છોડી વતન પરત ફર્યા અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. હાલ તેઓએ પ્રાકૃતિક ખેતીમાં સૌથી મહત્વનું જીવામૃત તૈયાર કરવા માટેનો ઓટોમેટિક પ્લાન્ટ લગાવ્યો છે. આ પ્લાન્ટ લગાવવા પાછળ તેઓને યોજના અંતર્ગત સહાય પણ આપવામાં આવી છે, જેનો લાભ લઈને હવે તેઓ એકી સાથે 6,000 લિટર જેટલું જીવામૃત તૈયાર કરી શકે છે.

આ અંગે દિવ અશોકભાઈ પરસાણાએ જણાવ્યું કે મેં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. મારા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં કોમ્પ્યુટર સેક્ટરમાં નોકરી પણ કરેલી છે, પરંતુ ક્યાંક શહેરમાં રહેતા મને એવો વિચાર આવ્યો કે આજે નહીં તો કાલે લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. મોટા શહેરોમાં સુવિધાઓ વચ્ચે હોવા છતાં ગામડા જેવો અહેસાસ થતો ન હતો, જેથી હું ત્યાં મારી નોકરી છોડીને વતનમાં પરત આવ્યો અને મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું ખૂબ મહત્વ રહેલું છે. આજે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
હાલ જોઈએ તો ખેડૂતો મોટાભાગે જીવામૃત પ્લાસ્ટિકના બેરલમાં તૈયાર કરતા હોય છે અને તેમાં એકી સાથે અંદાજિત 200 લિટરની આસપાસ જીવામૃત તૈયાર થતું હોય છે, પરંતુ તેની પાછળ મહેનત પણ ખૂબ લાગતી હોય છે અને સમય પણ લાગતો હોય છે. પરંતુ હાલ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની એક યોજના છે. જેને બી.આર.સી. સેન્ટર યોજના તરીકે ઓળખવામાં આવે છે. આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગના સહયોગથી અમને તેમનો કોન્ટેક થયો અને જાણવા મળ્યું કે આ રીતે આખો પ્લાન્ટ તૈયાર કરવાથી જીવામૃત એકી સાથે ખૂબ મોટા જથ્થામાં તૈયાર કરી શકાય છે અને તેનું વેચાણ પણ ખેડૂતોને કરી શકાય છે.
હાલ અમે જે આ ઓટોમેટિક પ્લાન્ટ સરકારી યોજનાનો લાભ લઈને તૈયાર કર્યો છે, તેમાં એકીસાથે અંદાજિત 6,000 લિટર જેટલું જીવામૃત ઓટોમેટિક તૈયાર કરી શકીએ છીએ. તૈયાર કરવા માટે સૌપ્રથમ ગીર ગાયનું છાણ, ગૌમૂત્ર અને છાશ લઈએ છીએ. આ ઉપરાંત ગોળ અને ચણાનો લોટ લેવામાં આવે છે. વડલા નીચેની અને શેઢાપાળાની માટી લેવામાં આવે છે. તે તમામ વસ્તુઓ ટાંકામાં એડ કર્યા બાદ છ થી સાત દિવસ જેટલો સમય સંપૂર્ણ જીવામૃત બનવા માટે લાગે છે. આ પ્લાન્ટ તૈયાર કરવા પાછળ 1,82,000 જેટલો ખર્ચ લાગ્યો છે અને અમને આ યોજના અંતર્ગત 60,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે.
Bhavnagar,Gujarat
