તહેવારો, ઉત્સવો અને મંદિરો માટે જાણીતા દક્ષિણ ગુજરાતમાં હોળીનું અનેરું મહત્ત્વ છે. વિવિધ વિસ્તારમાં અલગ અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે. ત્યારે સુરતના મહુવા તાલુકામાં પણ હોળી પર્વ પહેલાં જ ઉજવણી શરૂ થઈ ગઈ છે. વાંસ્ફુઈ ગામમાં હોળીના આગલા રવિવારે ગોળીગઢનો મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ ગોળીગઢ બાપુના મેળામાં હજારોની મેદની ઉમટી પડી. મેળામાં ભક્તિ અને લોક સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. મેળાથી સ્થાનિક સ્તરે રોજગાર પણ મળી રહે છે. આ મેળા પાછળ એક વર્ષો જૂની લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં બે ભાઈઓ રહેતા હતા, જેના મૃત્યુ બાદ ગ્રામજનોએ પાળિયા બનાવી પૂજા શરૂ કરી. ગુમડા, ઓરી અને અછબડા જેવા રોગોમાંથી મુક્તિ મેળવવા શ્રદ્ધાળુઓ અહીં બાપુની માનતા રાખે છે અને રોગ દૂર થતાં માનતા પૂરી કરે છે. સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમાં આ મેળાનું વિશેષ મહત્ત્વ છે. અહીંના લોકોને ગોળીગઢ બાપુમાં અતૂટ શ્રદ્ધા છે. મેળાને લઈ સ્થાનિક ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઊભો પાક કાપીને પાર્કિંગની વ્યવસ્થા કરી આપી. હજારો ભક્તો આવતા હોવાથી તેમની પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મેળો માત્ર મનોરંજન જ નહીં, અનેક લોકોની રોજીરોટીનું સાધન બન્યો છે.
