લગ્ન નોંધણી પ્રક્રિયામાં ગુજરાત સરકાર દ્વારા મોટા ફેરફાર સૂચવતું બિલ વિધાનસભામાં રજૂ કરાયું છે. જેમાં 8-10 એવા ફેરફાર સૂચવાયા છે જે લાગુ થશે તો માતાપિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરવા મુશ્કેલ બની શકે છે. કારણ કે લગ્ન નોંધણીમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવાની જોગવાઈ સૂચવાઈ છે. એટલું જ નહીં વર-વધૂ લગ્ન નોંધણી માટે અરજી કરશે કે તરત જ માતાપિતાને જાણ થશે. જો માતાપિતાને વાંધો હોય તો રજૂઆત કરી શકશે. જોકે, માતાપિતા કોઈ દબાણ કરીને હેરાન નહીં કરી શકે. સૂચિત નવી લગ્ન પદ્ધતિમાં લગ્ન નોંધણી માટે બંને પક્ષકાર અને બે સાક્ષીઓની સહીથી અરજી કરવાની રહેશે. વળી લગ્ન નોંધણીની સત્તા હવે તલાટીની નહીં પરંતુ તાલુકા સ્તરે રહેલા તેના ઉપરી અધિકારી પાસે રહેશે. જોકે, ગ્રામ્ય સ્તરે લગ્ન નોંધણીની અરજી તલાટી જ સ્વીકારશે અને પછી ઉપરી અધિકારીને મોકલવાની જવાબદારી તલાટીની રહેશે. લગ્ન નોંધણી માટે માતાપિતાના આધારકાર્ડ, સરનામાં અને મોબાઈલ નંબર ફરજિયાત કરાયા છે. જેથી અરજી થયાના 10 દિવસમાં તેઓને નોટિસ પાઠવીને જાણ કરી શકાય. નવી સૂચિત પદ્ધતિમાં પણ લગ્ન નોંધણી પ્રક્રિયા 30 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. આ સૂચિત સુધારાને લઈને સરકારે જાહેર જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. જેના માટે 30 દિવસનો સમય અપાયો છે.
Source link
