Final Up to date:
જામનગર-રાજકોટ હાઈવે પર એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના વિમાને લઈને વીમા કંપની હાઈકોર્ટ સુધી પહોંચી હતી. જોકે સમગ્ર મામલે હવે હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. વીમા કંપનીની અરજી ફગાવીને પરિવારને 1.20 કરોડ રૂપિયા ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદ: આ સમગ્ર મામલો જામનગર–રાજકોટ હાઇવે પર બનેલા ભયાનક માર્ગ અકસ્માતથી જોડાયેલો છે. ઘટનાના દિવસે 24 વર્ષીય આશાસ્પદ યુવક જામનગરથી રાજકોટ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન રાજકોટ તરફથી પૂરઝડપે આવી રહેલી બોલેરો જીપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બોલેરો ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ અને યુવકની કાર સાથે જોરદાર ટક્કર મારી હતી.
આ ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક શેર ટ્રેડિંગ તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને પરિવારનો મુખ્ય આધાર હતો. અકસ્માત બાદ મૃતકના પરિવારજનોએ મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલમાં વળતર માટે અરજી કરી હતી. ટ્રિબ્યુનલે મૃતકના છેલ્લા IT રિટર્ન ₹10.49 લાખના આધારે કુલ ₹1.33 કરોડનું વળતર નક્કી કર્યું હતું.
જોકે, મૃતકની 10 ટકા સહભાગી ભૂલ (Contributory Negligence) ગણતાં અંતે ₹1.20 કરોડ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદાને ખાનગી વીમા કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. વીમા કંપનીએ દલીલ કરી હતી કે અકસ્માતમાં મૃતકની પણ 50 ટકા ભૂલ ગણવી જોઈએ, બોલેરો ચાલક પાસે યોગ્ય ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું, વળતર ગણતરીમાં માત્ર છેલ્લું નહીં પરંતુ એવરેજ IT રિટર્ન ધ્યાનમાં લેવું જોઈએ તેમજ બેંકના વ્યાજ દર 5-6 ટકા હોવાથી 9 ટકા વ્યાજ વધુ છે. આ દલીલો સામે મૃતકના પરિવાર તરફથી મજબૂત રજૂઆત કરવામાં આવી હતી કે બોલેરો રોંગ સાઈડથી ડિવાઇડર કૂદીને આવી હતી, જેના કારણે મૃતકની કોઈ ભૂલ સાબિત થતી નથી.
હાઇકોર્ટે તમામ દલીલો અને પુરાવાનો વિચાર કર્યા બાદ ટ્રિબ્યુનલની ગણતરીને યોગ્ય ગણાવી. અદાલતે સ્પષ્ટ કહ્યું કે અકસ્માત સંપૂર્ણપણે બોલેરો ચાલકની ગફલતના કારણે થયો છે અને વીમા કંપનીની દલીલોમાં કોઈ તાકાત નથી. આ સાથે હાઇકોર્ટે વળતર રકમમાં ₹23,000નો વધારો કરી કુલ રકમ ચૂકવી આપવા આદેશ આપ્યો છે. આ ચુકાદો માત્ર આ કેસ પૂરતો નહીં પરંતુ ભવિષ્યમાં મોટર અકસ્માત ક્લેમ મામલાઓમાં મહત્વપૂર્ણ માર્ગદર્શક બની રહેશે.
Ahmedabad,Gujarat
Feb 16, 2026 10:28 PM IST

