ખેડૂત નેતા રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં એક નવા જ અવતારના એંધાણ આપ્યાં છે. પહેલીવાર ખેડૂતોનો અલગ મોરચો અને ખેડૂતોની અલગ પાર્ટી બનાવવાના એંધાણથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ કેટલાક ખેડૂત સંમેલન કર્યા અને હવે 19 માર્ચથી 24 માર્ચ સુધી સૌરાષ્ટ્રમાં કિસાન સંકલ્પ યાત્રાનું એલાન કર્યું છે. ગીર સોમનાથના તુલસીશ્યામથી શરૂ થનારી આ યાત્રા ઈટાલિયાના મત વિસ્તાર વિસાવદરમાં થઈને સુરેન્દ્રનગરના સુદામડામાં પૂર્ણ થશે. આ યાત્રામાં રાજુ કરપડા ખેડૂતોના અભિપ્રાય માગશે. કરપડાએ સ્પષ્ટ જાહેરાત કરી કે જો ખેડૂતો નક્કી કરશે તો તેઓ અલગ પાર્ટી પણ બનાવી શકે છે. સામાન્ય રીતે સહકારી ચૂંટણીઓમાં તમે ખેડૂત વિભાગની ચૂંટણી એવો શબ્દ સાંભળ્યો હશે પરંતુ હવે જો સંકેત પ્રમાણે ખેડૂતોની પાર્ટી બને તો ગુજરાતમાં નવા જ પ્રકારની રાજનીતિના બીજ રોપાઈ શકે છે. રાજુ કરપડાએ એ પણ સ્પષ્ટ કર્યું કે નવી પાર્ટી બનાવવાનું કામ અઘરૂં છે પણ ખેડૂતો ધારે તો શક્ય છે.
Source link
