T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યો. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ માત્ર મેદાન પરની સ્પર્ધા માટે જ નહીં, પરંતુ દર્શકોની સંખ્યાને કારણે પણ ખાસ રહી.
ટૂર્નામેન્ટના સત્તાવાર ડિજિટલ અને બ્રોડકાસ્ટિંગ પાર્ટનર JioStar દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 15 ફેબ્રુઆરીએ રમાયેલી આ મેચને ડિજિટલ પ્લેટફોર્મ પર કુલ 163 મિલિયન વ્યૂ મળ્યા. નોંધનીય છે કે આ આંકડા માત્ર ઓનલાઈન સ્ટ્રીમિંગના છે, તેમાં ટીવી પ્રસારણના દર્શકોનો સમાવેશ થતો નથી.
કંપનીના જણાવ્યા અનુસાર, આ ડિજિટલ રીચ અગાઉની T20 વર્લ્ડ કપ ફાઈનલ કરતાં પણ વધુ છે. 2024 માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ફાઈનલને મળેલા વ્યૂઝ કરતાં આ આંકડો આગળ રહ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે ભારત-પાકિસ્તાન મુકાબલાનો ક્રેઝ હજુ પણ અડગ છે.
માત્ર એટલું જ નહીં, T20 વર્લ્ડ કપ 2024 માં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ગ્રુપ સ્ટેજ મેચની સરખામણીમાં આ વખતની મેચને 56 ટકા વધુ ડિજિટલ વ્યૂ મળ્યા. આ વધારો દર્શાવે છે કે બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચમાં સમય સાથે ફેન્સનો ઉત્સાહ ટોપ પર પહોંચી ગયો છે.
મેદાન પર પણ ભારતીય ટીમે પોતાની તાકાત બતાવી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 61 રનથી પરાજિત કરી એકતરફી જીત નોંધાવી. બેટિંગ અને બોલિંગ બંનેમાં ભારતીય ખેલાડીઓનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળ્યું, જેને કારણે દર્શકોને રોમાંચક અનુભવ મળ્યો.
વિશ્લેષકો માને છે કે આ વખતે વધેલા દર્શકો પાછળ માત્ર ક્રિકેટ હરીફાઈ જ નહીં, પરંતુ મેચ પહેલા સર્જાયેલા બહિષ્કાર વિવાદનો પણ પ્રભાવ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ચાલેલી ચર્ચાઓ અને રાજકીય નિવેદનોને કારણે લોકોમાં ઉત્સુકતા વધ્યો હતો. જે પણ કારણ હોય, ભારત-પાકિસ્તાન મુકાબલાએ ફરી સાબિત કર્યું કે આ માત્ર મેચ નહીં સુપર હીટ મહામુકાબલો છે. (PC: PTI/X)






